Thursday, October 20, 2011

પુષ્યનક્ષત્ર

નક્કી કોઈ વાત નડી છે,
અમથી થોડી જીદે અડી છે,

ઈશારે બહુએ ચેતવ્યા,
તો યે કોઈને ક્યાં પડી છે,

છાપામાં ફોટો એનો જોઈને,
એ ચોધાર આંસુએ રડી છે,

સોનાનાં કડલા માટે શુભ...
આ પુષ્યનક્ષત્ર ઘડી છે,

એને તો દિવાળીની ઘડી છે,
ને પતિને પૈસાની પડી છે.

~ધૃતિ...

Saturday, October 15, 2011

દિવાળી આવી :))

એક શેઠાણી :
ઓહ્હ ગોડ અગેઇન આ દિવાળી આવી,
બટ હોલિડેઝ પરથી તો બાઈ ન આવી,
કુકિંગ અને ક્લીનીંગ જ કર્યું ત્યાં તો...
હાઉસમાં આ ગેસ્ટની પલટન આવી. :(

એક નોકરાણી :
થેન્ક ગોડ અગેઇન આ દિવાળી આવી,
મારે તો બોનસ ને હેપી હોલીડેઝ આવી,
ટેન ડેઝ કામ કરીને પછી મેમસાબ ...
મને જોતાંજ વદશે ...થેંક ગોડ તું આવી. :)

~ધૃતિ... :))

Thursday, October 6, 2011

લીવ રાવણજી અલોન...

દશેરા આવે એટલે ઠેરઠેર દસ મોઢાવાળા રાવણજીનું પૂતળું જોવા મળે. એક બાજુ રાવણજી અને બીજી બાજુ દશેરા આવતાની સાથે જ ફાફડા/જલેબી અચાનક જ ફેમસ બની જાય. ઘણાંખરાને ફાફડા/જલેબી જોઈને દશેરા આવ્યાં એનો ખ્યાલ આવે અને ઘણાંને રાવણજીના પૂતળાને બાળતી વખતે ફાફડા/જલેબી યાદ આવતા હશે.  ક્યારેક તો એમ થાય કે કદાચ નવ દિવસનાં ગરબામાં વધારે પડતી કેલરી બર્ન થઇ ગઈ હશે એટલે દસમે દિવસે ફાફડા/જલેબી ઉપર મારો ચલાવતાં હશે.
     રાવણજીની વાત કરીએ તો હવે એમ કહેવાનું મન થાય કે...'લીવ હિમ અલોન યાર'.  એ રામજી અને રાવણજી વચ્ચેનો ઈશ્યુ હતો. આમ પણ લક્ષ્મણભાઈ તો એમનાં શોર્ટ ટેમ્પર માટે રામાયણમાં જાણીતા છે જ. સુપર્ણખાને રાજકુમાર ગમી પણ ગયા હોય તોયે ગુસ્સામાં કોઈની બહેનનાં નાક અને કાન કપાય જ નહી. શું રામજી એ આવુ દુષ્કૃત્ય કર્યું હોત?  આટલી દુઃખમય હાલતમાં પોતાની બહેનને જોઈને કોઈ પણ ભાઈને ક્રોધ અવે જ. પછી ભલે ને એ ભાઈ એક પ્રખર વિદ્વાન કેમ ન હોય. જો કે એ વિદ્વાનને પણ આ ફાફડા/જલેબીનું રહસ્ય અકળાવતું તો હશે જ.

       આપણાં કુટુંબમાં કોઈને ચાર વેદ અને છ ઉપનિષદનું સોલિડ જ્ઞાન હોય તો ફાંકો મારીએ કે,,,'જોયું...દસ વિદ્વાનો જેટલું જ્ઞાન છે.' અને અહીં રાવણજીના ૧૦ સ્કોલર્સ જેટલાં શાર્પ મગજને આપણે ભૂલી જ ગયા અને એનાં બદલે દસ માથા આપી દીધા.  સાંભળ્યું છે કે એ માઇસ્ટ્રો હતાં. વીણા એમનાં જેવી આજ સુધી કોઇ પણ વગાડી નથી શકતું. અને આપણે એમનાં દસ માથાવાળા પૂતળાને ફટાકડાનાં કર્કશ અવાજથી ભરીએ છીએ.  શિવજી સાથે બ્રહ્માજી પણ ભોળા જ કહેવાય, આપણી જેમ થોડું દુરંદેશીપણું હતું એ લોકોમાં.  એટલે જ તો એમણે હિંદુ એસ્ટ્રોલોજી પર પાવરફૂલ બુક લખનાર અને આયુર્વેદ અને પોલીટીકલ સાયન્સના જાણકાર એવાં સાવ મામૂલી રાવણજીને વરદાનોથી નવાજી દીધાં હતાં. ત્યાંય જો કે ફાફડા/જલેબીનો ક્યાંય ઉલ્લેખ નથી.

     રામજીને વિભીષણજી એ કહ્યું કે આ જગ્યાએ તીર મારો તો મરશે મારો ભાઈ. બાકી એ જ રામજી રાવણજીને મહાબ્રાહ્મણ  માનતા હતાં એટલે જ તો એક બ્રાહ્મણને મારતા પહેલાં એમણે પણ અશ્વમેધ યજ્ઞ કરવો પડ્યો હતો,,,આપણી જેમ થોડું કે લાવો પૂતળું ને કોઈ કળિયુગનાં રાવણનાં હાથે એને સળગાવી દો.  રાવણજીને માર્યા પછી રામજીએ એ જ મિજાજી લક્ષ્મણજીને મોકલ્યાં હતાં  કે ...'જા ભાઈ...આ જ્ઞાનીથી થોડું શીખી લે.' તોયે અકડુ લક્ષ્મણજીને તો એ લાભ ન મળ્યો એટલે રામજી ખુદ ગયા હતાં અને કહ્યું હતું કે ...'સીતાહરણના લીધે મારે આવું કરવું પડ્યું...પણ હવે તમે મારા દુશ્મન નથી, તમારી સાથે તમારું જ્ઞાન જતું રહેશે...જો બને તો અહીં બાંટતા જાવ.'   રામજીએ  રાવણજીને માફ કર્યા અને જ્ઞાન બાંટવાનું કહ્યું. પૂતળું બાળવાનું નહોતુ કહ્યું. તો યે ખબર તો ન જ પડી કે આ ફાફડા/જલેબીનો રિવાજ ક્યાંથી આવ્યો?


   જૈન શાસ્ત્રમાં કહેવાય છે કે ઓરિજિનલ રાવણજીનો આ એક કરેલાં પાપકર્મનો અંત આવશે અને પુણ્યકર્મનો ઉદય થશે ત્યારે એ રાવણજી પણ તીર્થંકરમાં સ્થાન પામશે. કદાચ એ ખુશીમાં આપણે ફાફડા/જલેબી ખાતા હોઈશું. બાકી આટલું જાણ્યાં પછી ઓરિજિનલ રાવણજીને હવે હેરાન ન કરવા જોઈયે. મન થાય તો ડુપ્લિકેટ રાવણજીની પેદાશ તો આપણે ત્યાં ઓરિજિનલને પણ શરમાવે એવી છે જ ને. અને પછી રામજીની સ્ટાઈલમાં કહી દેવાનું કે ...'ભાઈ...તે આમ કર્યું એટલે જ....' પછી ખાવ તમતમારે ફાફડા/જલેબી મન મૂકીને.

    આ તો વાત નીકળી છે તો એ પણ યાદ આવ્યું કે આ બધુંય પ્રિપ્લાન હોય ઉપરવાળાને ત્યાં. પહેલાં વરદાન આપે પછી પસ્તાય અને આખી રામાયણ રચાય. વાત તો એમ પણ સાંભળી છે કે શિવજીને મળવા ગયેલા રાવણજીને નંદીજીનો એટીટ્યુડ નહોતો ગમ્યો તો એમણે નંદીજીને ખૂબ હેરાન કર્યા અને નંદીજીએ ગુસ્સામાં રાવણજીને કહ્યું કે...'તમે એક વાંદરાથી માત ખાશો.'  બાકી ત્રણ ટાઈમ ખાવું એમ કહેનારા નંદીજી પણ અહીં ફાફડા/જલેબી આરોગજો એમ નથી ઉચ્ચાર્યું.

    અને છેલ્લે એક વાત પૂછવી છે કે ...રામાયણના એક પ્રસંગમાં મંદોદરીનાં કાનમાં પહેરેલી હીરાની બુટ્ટીઓનાં ઝળહળાટની ચર્ચાથી હજુયે આંખો અંજાયેલી છે,,,કોઈ આઈડિયા ખરો કે એ બુટ્ટીઓ ક્યાં હશે અત્યારે?   આ વાત પણ ફાફડા/જલેબીની જેમ જ સતાવે છે...યુ નો.


    આમ તો મા દુર્ગાએ દશેરા એ મહિષાસુરનો વધ કર્યો જ હતો ને...તો આજે એ વાતે જ સહુને દશેરાની શુભેચ્છાઓ.

~ ધૃતિ...


Sunday, October 2, 2011

ગ ફોર ગુજરાતીઓના ગરબા.


    આખા ભારતમાં ઉજવાતા દરેક તહેવારનો રાજા એટલે આપણાં ગરબા. ગુજરાતથી શરૂ થયેલા ગરબા ગુમતા ગુમતા આખા ભારત અને હવે તો વિશ્વવ્યાપી થઇ ગયા. ઓફકોર્સ આ તહેવાર જ ભગવાનને અર્પણ છે એટલે ઉપર દેવલોકમાં પણ ઉજવાતો જ હશે...આઈ એમ ૧૦૦% સ્યોર.
     વર્ષો પહેલાં દેશમાંથી પહેલીવાર વિદેશ જતાં ગુજરાતી પરિવારની બેગમાં મસ્ત ચણીયાચોળી-ઓઢણી અને દાંડિયા જોવા મળે જ. હવે તો ગુજરાતી હોય કે નોન-ગુજરાતી વિદેશ જવા નીકળે એટલે પહેલું ચેક કરે કે પાસપોર્ટ, ટીકીટ,દાંડિયા અને ગરબા માટેના કપડાં મુક્યા છે કે નહી.
      ગુજરાતના ગરબાની તોલે ક્યાંયના ગરબા ન આવે. ભલે ને દરેક ફળિયાના લાઉડસ્પીકરો એકબીજાથી સારા દેખાવાની હુંસાતુંસી કરે પણ ગરબા ગાવા વાળાને એ બધુ કશું જ ન નડે. અ રે ઊંઘમાં પણ સંભળાય એ અવાજ તોયે ચાલે. ત્રણ તાળી, બે તાળી, દોઢિયું. રાસ, રમઝણીયું અને પેલુ શું કહે,,,,હાં...સનેડો.  એક સર્કલની અંદર બીજુ, ત્રીજું એમ જલેબી જેવા સર્કલ થતાં જ હોય. તાલમાં અને લયમાં ગરબા ગાતા લોકો ત્યાં એકબીજાને વારંવાર ટકરાતા હોય પણ પ્રેમભાવના જળવાયેલી રહે. 
   પારંપરીક ડ્રેસકોડ આમ તો જળવાયેલો જ છે ગરબાનો...ફક્ત વર્ષે વર્ષે થોડો થોડો અપગ્રેડ થાય.  ગુજરાતી મુવી હોય તો ગરબો હોય એ તો સ્વાભાવિક છે પણ વર્ષો પહેલાં નૂતને સરસ્વતીચંદ્ર મુવીમાં પણ ગરબાને જમાવ્યો હતો. ત્યાર પછી ખાલી બે કે ત્રણ જ  હિન્દી મુવીમા આવ્યો આપણો ગરબો.  જમાનો તો ઘણો આગળ વધી ગયો,,, ગરબા તો દરેક જગ્યાએ જાણે કમ્પલસરી થઇ જ ગયા તો પછી બોલીવુડ કેમ આવો અન્યાય કરે છે આપણી જોડે?  ચીપ આઇટમ સોંગ રાખે છે એના બદલે આપણો એક મજાનો ગરબો કેમ નહી?  નવી સ્ટાઈલમાં દેરક મુવીમાં એક ગરબો તો રાખવો જ જોઈએ.  ખબર તો પડે કે રીયલ ડાન્સ કોને કહેવાય. નવ મીટર કપડાંના ઘાઘરા સાથે અને ભરચક ઓક્સીડાઈઝ્ડ જ્વેલરી સાથે એ આઇટમ ડાન્સ કરતી હીરોઈનોને પાંચ રાઉન્ડ દોઢિયાના એકદમ ફાસ્ટ સ્પીડે કરાવી જોવે તો ખારા. ગરબા પછી એકદમ ભાવથી માતાજીની આરતી કરી અને પ્રસાદ સાથે બીજુ બધુંય ગુજરાતી ફૂડ એક ગુજરાતી જ પચાવી શકે અને તે પણ બીજે દિવસે એટલી જ સ્ફૂર્તિથી ફરી ગરબા રમવા કોઈ પણ નખરા વગર હાજર પણ રહી શકે.

    આજ સુધી જેટલા પણ કોમેડી શો જોયા છે તે દરેક શોમાં કોમેડીયન કોઈ ને કોઈ ગાયક કે એક્ટરની ડાન્સની નકલ કરતા જોયા છે.  ક્યારેય કોઈ કોમેડિયનની મજાલ છે કે એ કોઈ એક્ટર ગુજરાતી ગરબો કઈ સ્ટાઈલમાં કરી શકે એની નકલ કરે. સલમાનખાને હમ દિલ દે ચૂકે સનમમાં જે ગરબા પર સ્ટેપ કર્યાં છે તે સ્ટેપ પર શાહરૂખ કે અભિષેકની સ્ટાઈલમાં કોઈ કોમેડિયન કેમ કશું કરતાં નથી?  ગુજરાતી મુવીઝમાં જે ગરબા થાય છે તેના પર હિન્દી મુવીના એક્ટર કેવા લાગે એની નકલ કેમ કોઈ કરી જ નથી શકતું ?  આપણે તો ગુજરાતી મુવીઝ્માં આપણાં ગરબા સાથે હિન્દી મુવીઝમાં થાય છે એવાય ગાયન રાખીએ તો છે જ ને.  આ બોલીવુડયાઓ દરેક મુવીમાં આપણા ખાખરા ને ફાફડા લઇ આવ્યાં અને જોડે કાન્તાબેન પણ... તો પછી ગરબા કેમ નહી??

    અ રે આપણે તો ઉલટાનું બીજા બધાને ખોટું ન લાગે એટલે ગરબા પછી કે ચાલુ ગરબાએ પણ ભાંગડા કે ડિસ્કો પણ કરીએ. બોલીવુડના ગાયનો પર પણ ઠુમકા લગાવીએ અને બોલીવુડ વાળા આપણી કિંમત ખાલી ઉધીયું, ગાંઠીયા,જલેબી અને બહુ બહુ તો 'કેમ છો' મુવીમાં ચિપકાવીને કરે...નોટ ફેર.

    હું જાણું છું આ વાંચીને તમારો ગુજરાતી જીવ આજે નક્કી કોઈ સ્ટેપ લેવા વિચાર કરવાનો જ, પણ એક વાતની ચોખવટ કરી દઉં કે   આ મુદ્દો બોલીવુડના ધ્યાનમાં લાવવા માટે કોઈ જ ઉપવાસ કરવાની જરૂર નથી કારણ કે નવરાત્રી નિમિતે આપણે તો આમ પણ માતાજીના ઉપવાસ કરતાં જ હોઈએ છીએ તે પણ કોઈ પરમીશન કે રોકટોક વગર.

    હું તો કહું છુ કે આ બધા ભ્રષ્ટાચારીઓ ને પણ ચઢાવો નવ દિવસ ગરબાના ચકરડે. પેલા નોન-સ્ટોપ સાત દિવસ સાયકલ ચલાવે છે ને ગરીબ માણસો પેટ ભરવા... એમજ આ લોકોને નવ દિવસ નોન-સ્ટોપ ગરબા ગવડાવો...એ પણ અસલ માતાજીનાં. પછી જોજો અહીં   ભરેલાં પેટ કેવા ખાલી થશે. ગરબાની તાકાતનો અંદાજો હજુ આ લોકોને નથી.  પુણ્ય મળે ને પાપ ઘટે તે પણ ધાર્મિકતાથી.  

    આ લેખ વાંચીને હવે પછી જો ચિત્રજગતમાં ફેરફાર થાય તો એનાં બધા રાઈટ્સ આ લેખ લખનાર લેખિકાના રહેશે.  જો કોઈ કોમેડિયને આ વાંચીને આઈડિયા લેવો હોય તો લેખિકાને સંપુર્ણ ક્રેડીટ સાથે ચેક મોકલવાનો રહેશે. અને ભારતમાં રામરાજ્ય સ્થપાય તો હવે પછીના ઇતિહાસમાં લેખિકાનું નામ સુવર્ણ અક્ષ્રરોમાં લખવુ.  જય માતાજી.      
~ધૃતિ...