Tuesday, August 30, 2011

શોકનો ભપકો...

'જવા દે ને!!! અમારે ત્યાં હમણાં શોક ચાલે છે, એટલે ટીવી ના ચાલુ કરાય, તું મારી સીરિયલસ્ રેકોર્ડ કરી રાખજે પ્લીઝ.'

ઘરમાં ચાલતા શોકને લઈને કેટલી તકલીફ માંથી બધાએ પસાર થવું પડતું હોય છે.  આજકાલ તો શોક શબ્દમાં દુઃખ ઓછુ અને બોજ વધારે લાગે છે.


     કોઈના મરણનું દુઃખ કપડાથી વ્યકત કરવું એ તો ફેશન થઈ ગઈ છે. સફેદ આર વાળા કપડા પહેરીને બેસણામાં પણ ચીકન (હકોબા)ની સાડીની વાતો થાય છે. પાછું દાગીનાનો ભપકો સારો ન લાગે એટલે ખાસ પ્રસંગ માટે મોતી કે ડાયમન્ડનો દાગીનો  (સફેદ કપડાને મેચ થાય એવો) અલગ પહેરે. લોકલાજે કે લોકોની નજરમાં આવવા માટે બેસણામાં જનારા વધી ગયા છે. બેસણામાં પણ  sms કે ફોન તો ચાલુ જ રહે અને હાજર રહેલા બીજા બધા સાથે પારકી પંચાત કરે.  કોઈ વૃધ્ધ ઘરમાં હોય અને કોઈ જુવાનનું મૃત્યુ થાય તો,,,
'આના બદલે આ ડોસા ગયા હોત તો...'    કહીને યમરાજને પણ કનફ્યુઝ કરે. 


    વાહન અકસ્માતમાં ગુજરી ગયેલાને માટે તો આખા દેશના ટ્રાફીક નીયમોને અને બેફીકરા વાહન ચાલકોને ગાળો બોલે અને છેલ્લે જવાબદાર તો મ્રુતક વ્યક્તિને જ ગણે,,,
'આ હતો જ સાવ નકામો, આખો દિવસ પીધેલો હોય, આજ લાગનો હતો!!!'    કુટેવના લીધે મ્રુત્યુ પામેલાને પણ આવા જ શબ્દથી નવાજે અને પોતાનામાં રહેલી એ જ કુટેવ ત્યારે યાદ ન કરે.


      થોડા વખત પહેલા એક પરીવાર જાત્રા કરવા ગયો અને ત્યાં અચાનક એમની દિકરી ગુજરી ગઈ. આટલા મોટા આઘાત સાથે ૧૮ કલાકે ઘરે આવ્યા અને અંતિમ સંસ્કાર કર્યો. બધાને હચમચાવી દે તેવું વાતાવરણ હતું. ત્યાં તો પાછળ વાતો થાય કે,,,

'સાંજે બધા સાથે જ ફરી આવી ને મળી જઈશું'

ફરીને સમજાવ્યા કે,,,

'આજે બધાને થોડો આરામ કરવા દો, એ લોકોની હાલત તો જુવો... થોડા દિવસ પછી આવશું'

પણ ત્યાં તો ફટ દઈને કોઈ બોલ્યું કે,,,

'આપણું સારૂ ન  દેખાય!!! અને આમનો શોક તો લાંબો ચાલશે એમાં આપણે રોજ રોજ ક્યાં ખેંચાવાનું?? એક વાર ફરી મોઢુ બતાવી દઈએ એેટલે ચાલે!!!' 


        અને એક જગ્યાએ એક ઘરડા બા ગુજરી ગયા. ચાર દિકરા અને ચાર વહુઓ ને એમના પણ સંતાનો સાથે બહોળા પરીવારમાં માજીને ડિહાઈડ્રેશન થયું અને ગુજરી ગયા,,,નોકર ધ્વારા ઘરમાં બધાને ખબર પડી કે ત્રણ દિવસથી ખાતા-પીતા ન હતા. આમ પણ વહુઓ કે દિકરાને માંજી માટે સમય ન હતો, પણ જોવા જેવુ એ હતું કે જ્યારે માજીને સ્મશાન લઈને જતા હતા ત્યારે એક વહુ અચાનક જ ઊભી થઈ અને પાછળ દોડવા લાગી અને રડતા રડતા બોલી,,, 'મને પણ એમની સાથે જવું છે..એ..એ...'  ગુસ્સો તો ત્યારે એ વહુને પકડીને રોકતા લોકો પર આવ્યો!!!!  અને કોરસમાં મોટેથી રડવામાં બીજી બધી વહુ જોડાઇ અને માજીનાં સહીયારા ગુણગાન ગાયા. ત્યાર પછીના ૧૨ કે ૧૩ દિવસ જે શોક નો ભપકો ચાલ્યો, જેવા બધા આવે એવા લાઇનમાં બધા શોકમગ્ન બેસી જાય અને જાય કે તરત જ ખુશ. એમના હાંશકારાના આનંદને જોઇને સમજ જ ન પડી કે "ઓસ્કાર" કોણે આપવો!!!


     ઘણા લોકોની માન્યતા છે કે કોઈના પણ મરણ પર જે લોકો રડતા નથી એ નફ્ફ્ટ. પોતાનું દુઃખ નકલી ભેંકડામાં પ્રગટ કરવામાં પણ અલગ અલગ વર્ગ હોય છે.  જેમણે સ્વજન ગુમાવ્યું હોય એમની વ્યથા સમજવી ખુબ જ કઠીન છે. પણ જે દેખાડો કરે છે એ લોકો મગજમાં શું વીચારીને ધતીંગ કરતા હોય છે??  શું સફેદ કપડાથી જ શોક વ્યકત થાય??  સ્વાભાવીક છે કે સાદા કપડા જ પહેરાય. પણ અમુક દિવસ ટીવી ન જોવાય,  નોર્મલ લાઈફ થોડા દિવસ સ્થગીત!!   કેમ??  પ્રયાસ તો જેમને દુઃખ પડ્યું છે એમને બને એટલા જલ્દી નોર્મલ લાઈફમાં લાવી દેવાનો હોવો જોઈએ. વાતાવરણ આમ તો ગંભીર હોય એમાં વધારે ગંભીર આવા બધા નીયમો કરે. કોઈના દુઃખને હલકુ કરવાને બદલે ભારે કરે.


     એક બહેનના પતિ ગુજરી ગયા, સમાચાર મળતાની સાથે નીકળવા  છત્તાં ત્યાં પહોંચતા ૧૨ કલાક થયાં. બધી ક્રીયા પતી ગઈ હતી,,, આઘાત ત્યારે વધારે લાગ્યો કે ત્યાં એ બહેનની સાસરીનાં બધા હતા અને પીયરનું કોઈ જ ન હતું.  મને ભેટીને એ ખુબ જ રડી, અને ધીમેથી બોલી કે,,,


"મને અહીં થી બીજી રૂમ માં લઈ જા કશી પણ રીતે, મારાથી હવે વધારે નથી બેસાતું'.


બે રૂમનાં ઘરમાં બીજી રૂમમાં થોડા લોકો સુતા હતા. જ્યારે કહ્યું કે,,,


'થોડી વાર માટે બધા બહાર જાવ, અને બહેનને આરામ કરવા દો.'


તો ઘર નાં વડીલ કહે કે..."ના, એણે ત્યાંજ બેસવું પડે, બધા મળવા આવે અને એ સુતી હોય તે ન શોભે!!'


("શોભે" ????)   આવા નકામા રિવાજ પરનો ગુસ્સો હોય કે  એ 'શોભે' શબ્દ નો પ્રતાપ,,,પાંચ મીનીટમાં રૂમ ખાલી કરાવીને એ બહેનને અંદર લાવી, ત્યારે એ બોલી કે,,, 

'સમાચાર આવ્યા ત્યારથી એ ખુણા માંથી ઉઠવા નથી દીધી!!!' 

જો કે ત્યારે એ  બહેનનાં સસરા ખૂબજ મદદરૂપ થયાં.  બીજે દિવસે એ બહેનના પીયર જઈને પુછ્યું કે... 


'દીકરી પાસે કેમ નથી ગયા?'  તો કહે કે,,,


'ઘરનાં બધા જેન્ટસ સ્મશાનમાં ગયા હતા, આપણે તો બેસણામાં જવાનું હોય. તારે પણ બેસણાના દીવસે જ આવવાની વાત હતી!!!!'
 
   બેસણામાં હાજરીનું મહત્વ પોતાની વ્યક્તિનાં  દુઃખથી પણ વધારે!!!  બેસણું રાખે એટલા માટે કે દુરથી આવતાં સગા-વ્હાલાં બધા એક જ દિવસે સાથે આવીને પોતાનો શોક વ્યક્ત કરી શકે.

      આપણી નજીકની વ્યક્તિ જ્યારે કોઈ સ્વજન ગુમાવે ત્યારે,,, પોકળ શબ્દ, સફેદ કપડાં, મોટેથી દેખાડો કરીને રડવાનું, બેસણાંમાં હાજરી આ બધાને બદલે સાચા દીલથી એની પાસે જઈને એના ખભે હાથ પણ મુકીએ તો એને ખરૂ આશ્વાશન મળશે. કોઈના પણ મ્રુત્યુને મજાક ન બનાવવો જોઈએ અને રિવાજ એવા હોવા જોઈએ કે જેમાં મૃતકનાં નજીકની વ્યક્તિને જલ્દી હિંમત પાછી મળી શકે.


     વર્ષો પહેલાં પહેલી વાર અમેરીકામાં  મારી મેનેજરનાં મમ્મીનાં ફ્યુનરલમાં મારી સાથે કામ કરતી મરીયા લઈ ગઈ, એણે મને બ્લેક સુટ પહેરવાનું કહ્યું હતું.  ત્યાં મેનેજરને મળી એકદમ ધીમા અવાજે શોક વ્યક્ત કર્યો. કોફીનમાં એની મમ્મીને સુવાડ્યા હતાં. સામે લાઈનમાં ખુરશી ગોઠવેલી હતી ત્યાં અમે બેઠા. થોડી ઔપચારીકતા પછી નજીકનાં બે સગાએ મૃતક વિેષે સ્પીચ આપી. હાં,,,વચ્ચે વચ્ચે ધીમેથી રડવાનો કે નાક સાફ કરવાનો અવાજ આવતો. બધી ક્રીયા પતી પછી ત્યાં નજીકમાં હોલ પર બધા ભેગા થયા, થોડી વાતો, થોડુ  ખાવાનું અને એેકબીજાને ભેંટીને બધા છુટા પડ્યાં. મારા માટે આ બધુ નવું હતુ.  મરીયાને મેં આપણા રિવાજ કહ્યા અને એણે મને એમના રિવાજ સમજવ્યા કે... જોબના લીધે અને દૂર રહેતા હોય એમને પણ બહુ સમય રજા ન મળે એટલે આ જ રીતે  બધા અરેંન્જ કરે. પછી થોડીવાર રહીને બોલી કે,,, 


" કોઇ પણ જગ્યા હોય દુનીયામાં... જ્યારે કોઈ ગુજરી જાય ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું કે એ મૃતક વ્યક્તિને છેલ્લો અપાતો "respect"  સચવાય અને ના પરીવારનાં માણસોની "privacy".

~ધૃતિ...

No comments:

Post a Comment