Thursday, October 6, 2011

લીવ રાવણજી અલોન...

દશેરા આવે એટલે ઠેરઠેર દસ મોઢાવાળા રાવણજીનું પૂતળું જોવા મળે. એક બાજુ રાવણજી અને બીજી બાજુ દશેરા આવતાની સાથે જ ફાફડા/જલેબી અચાનક જ ફેમસ બની જાય. ઘણાંખરાને ફાફડા/જલેબી જોઈને દશેરા આવ્યાં એનો ખ્યાલ આવે અને ઘણાંને રાવણજીના પૂતળાને બાળતી વખતે ફાફડા/જલેબી યાદ આવતા હશે.  ક્યારેક તો એમ થાય કે કદાચ નવ દિવસનાં ગરબામાં વધારે પડતી કેલરી બર્ન થઇ ગઈ હશે એટલે દસમે દિવસે ફાફડા/જલેબી ઉપર મારો ચલાવતાં હશે.
     રાવણજીની વાત કરીએ તો હવે એમ કહેવાનું મન થાય કે...'લીવ હિમ અલોન યાર'.  એ રામજી અને રાવણજી વચ્ચેનો ઈશ્યુ હતો. આમ પણ લક્ષ્મણભાઈ તો એમનાં શોર્ટ ટેમ્પર માટે રામાયણમાં જાણીતા છે જ. સુપર્ણખાને રાજકુમાર ગમી પણ ગયા હોય તોયે ગુસ્સામાં કોઈની બહેનનાં નાક અને કાન કપાય જ નહી. શું રામજી એ આવુ દુષ્કૃત્ય કર્યું હોત?  આટલી દુઃખમય હાલતમાં પોતાની બહેનને જોઈને કોઈ પણ ભાઈને ક્રોધ અવે જ. પછી ભલે ને એ ભાઈ એક પ્રખર વિદ્વાન કેમ ન હોય. જો કે એ વિદ્વાનને પણ આ ફાફડા/જલેબીનું રહસ્ય અકળાવતું તો હશે જ.

       આપણાં કુટુંબમાં કોઈને ચાર વેદ અને છ ઉપનિષદનું સોલિડ જ્ઞાન હોય તો ફાંકો મારીએ કે,,,'જોયું...દસ વિદ્વાનો જેટલું જ્ઞાન છે.' અને અહીં રાવણજીના ૧૦ સ્કોલર્સ જેટલાં શાર્પ મગજને આપણે ભૂલી જ ગયા અને એનાં બદલે દસ માથા આપી દીધા.  સાંભળ્યું છે કે એ માઇસ્ટ્રો હતાં. વીણા એમનાં જેવી આજ સુધી કોઇ પણ વગાડી નથી શકતું. અને આપણે એમનાં દસ માથાવાળા પૂતળાને ફટાકડાનાં કર્કશ અવાજથી ભરીએ છીએ.  શિવજી સાથે બ્રહ્માજી પણ ભોળા જ કહેવાય, આપણી જેમ થોડું દુરંદેશીપણું હતું એ લોકોમાં.  એટલે જ તો એમણે હિંદુ એસ્ટ્રોલોજી પર પાવરફૂલ બુક લખનાર અને આયુર્વેદ અને પોલીટીકલ સાયન્સના જાણકાર એવાં સાવ મામૂલી રાવણજીને વરદાનોથી નવાજી દીધાં હતાં. ત્યાંય જો કે ફાફડા/જલેબીનો ક્યાંય ઉલ્લેખ નથી.

     રામજીને વિભીષણજી એ કહ્યું કે આ જગ્યાએ તીર મારો તો મરશે મારો ભાઈ. બાકી એ જ રામજી રાવણજીને મહાબ્રાહ્મણ  માનતા હતાં એટલે જ તો એક બ્રાહ્મણને મારતા પહેલાં એમણે પણ અશ્વમેધ યજ્ઞ કરવો પડ્યો હતો,,,આપણી જેમ થોડું કે લાવો પૂતળું ને કોઈ કળિયુગનાં રાવણનાં હાથે એને સળગાવી દો.  રાવણજીને માર્યા પછી રામજીએ એ જ મિજાજી લક્ષ્મણજીને મોકલ્યાં હતાં  કે ...'જા ભાઈ...આ જ્ઞાનીથી થોડું શીખી લે.' તોયે અકડુ લક્ષ્મણજીને તો એ લાભ ન મળ્યો એટલે રામજી ખુદ ગયા હતાં અને કહ્યું હતું કે ...'સીતાહરણના લીધે મારે આવું કરવું પડ્યું...પણ હવે તમે મારા દુશ્મન નથી, તમારી સાથે તમારું જ્ઞાન જતું રહેશે...જો બને તો અહીં બાંટતા જાવ.'   રામજીએ  રાવણજીને માફ કર્યા અને જ્ઞાન બાંટવાનું કહ્યું. પૂતળું બાળવાનું નહોતુ કહ્યું. તો યે ખબર તો ન જ પડી કે આ ફાફડા/જલેબીનો રિવાજ ક્યાંથી આવ્યો?


   જૈન શાસ્ત્રમાં કહેવાય છે કે ઓરિજિનલ રાવણજીનો આ એક કરેલાં પાપકર્મનો અંત આવશે અને પુણ્યકર્મનો ઉદય થશે ત્યારે એ રાવણજી પણ તીર્થંકરમાં સ્થાન પામશે. કદાચ એ ખુશીમાં આપણે ફાફડા/જલેબી ખાતા હોઈશું. બાકી આટલું જાણ્યાં પછી ઓરિજિનલ રાવણજીને હવે હેરાન ન કરવા જોઈયે. મન થાય તો ડુપ્લિકેટ રાવણજીની પેદાશ તો આપણે ત્યાં ઓરિજિનલને પણ શરમાવે એવી છે જ ને. અને પછી રામજીની સ્ટાઈલમાં કહી દેવાનું કે ...'ભાઈ...તે આમ કર્યું એટલે જ....' પછી ખાવ તમતમારે ફાફડા/જલેબી મન મૂકીને.

    આ તો વાત નીકળી છે તો એ પણ યાદ આવ્યું કે આ બધુંય પ્રિપ્લાન હોય ઉપરવાળાને ત્યાં. પહેલાં વરદાન આપે પછી પસ્તાય અને આખી રામાયણ રચાય. વાત તો એમ પણ સાંભળી છે કે શિવજીને મળવા ગયેલા રાવણજીને નંદીજીનો એટીટ્યુડ નહોતો ગમ્યો તો એમણે નંદીજીને ખૂબ હેરાન કર્યા અને નંદીજીએ ગુસ્સામાં રાવણજીને કહ્યું કે...'તમે એક વાંદરાથી માત ખાશો.'  બાકી ત્રણ ટાઈમ ખાવું એમ કહેનારા નંદીજી પણ અહીં ફાફડા/જલેબી આરોગજો એમ નથી ઉચ્ચાર્યું.

    અને છેલ્લે એક વાત પૂછવી છે કે ...રામાયણના એક પ્રસંગમાં મંદોદરીનાં કાનમાં પહેરેલી હીરાની બુટ્ટીઓનાં ઝળહળાટની ચર્ચાથી હજુયે આંખો અંજાયેલી છે,,,કોઈ આઈડિયા ખરો કે એ બુટ્ટીઓ ક્યાં હશે અત્યારે?   આ વાત પણ ફાફડા/જલેબીની જેમ જ સતાવે છે...યુ નો.


    આમ તો મા દુર્ગાએ દશેરા એ મહિષાસુરનો વધ કર્યો જ હતો ને...તો આજે એ વાતે જ સહુને દશેરાની શુભેચ્છાઓ.

~ ધૃતિ...


No comments:

Post a Comment